16/07/2021
સિંહ વિશે માહિતી: ગીર
ગીરમાં બે જાતના સિંહ છે. એક ગધીયો અને બીજો વેલર.
બન્નેના શારિરીક લક્ષણો, અને આંતરિક સૂઝ વગેરેમાં ઘણો તફાવત છે.
જંગલમા તમે બંદૂક ફોડો ત્યારે જો ગધીયો હોય તો નાસી જાય પણ વેલર હોય તે પાછો વળીને ઊભો રહે.
( ઝૂમાં જોવા મળતા આફ્રિકન સિંહ/African Lion ની ઓળખ જ જૂદી છે. તેઓ અમારા એટલે કે ગીરના સિંહ/Gir Lion કરતાં વધારે કદાવર હોય છે.)
વેલર વધુ લાંબો હોય છે. પુંછડી ગુચ્છાદાર અને કેશવાળી વધારે ઘાટીલી હોય છે. એના કાન લાંબા હોય છે.
ગધીયો જરા જાડો અને ગોળમટોળ હોય છે કેશવાળી વેલર કરતા થોડી ઓછી અને પુંછડીનો ગુચ્છો થોડો આછો હોય છે ગધિયો વેલર કરતાં સ્વભાવમાં વધું આળસું હોય છે...
એશિયાઇ સિંહ એ બિડાલ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે.
આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે.
એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી"ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (Snow leopard), અને ધબ્બેદાર દિપડો (Clouded leopard) વગેરે છે.
પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે.
પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખી જ હોય છે.
એશિયાઇ સિંહ:
એશિયાઇ સિંહ સ્થાનિક નામ સિંહ, ડાલામથ્થો, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્બર શેર
અંગ્રેજી નામ: ASIATIC LION
વૈજ્ઞાનિક નામ: Panthera leo Persica
આયુષ્ય: ૧૫ થી ૧૮ વર્ષ
લંબાઈ: માથાથી પુંછડી સુધી. ૨૭૦ સેમી. (નર) ૨૮૯ સેમી.
ઉંચાઈ: ૧૦૫ થી ૧૧૫ સેમી.
વજન: ૧૬૦ થી ૨૦૦ કિલો (નર),
૧૪૦ થી ૧૫૫ કિલો (માદા)
સંવનનકાળ: ઓક્ટોબર થી ડીસેમ્બર
ગર્ભકાળ: ૧૦૫ થી ૧૧૦ દિવસ
પુખ્તતા: ૪.૫ વર્ષ (નર), ૩.૫ વર્ષ (માદા)
દેખાવ: શરીર રતાશ પડતા ભુખરા રંગનું, આગળથી માથાનો ભાગ ભારે, પાછળનો શરીરનો ભાગ પાતળો., જાડી લાંબી પુંછડી, નાના કાન., નર સિંહને ગળામાં કેશવાળી હોય છે.
ખોરાક: સામાન્ય રીતે પ્રતિદિન ૧૦ થી ૧૨ કિલોગ્રામ, ચિત્તલ, સાબર, જંગલી સુવર, ચોશીંગા, ચિંકારા, ભેંશ, ગાય વગેરે.
વ્યાપ: ગીરનાં જંગલ તથા એની આસપાસના વિસ્તારોમાં (બૃહદ ગીરમાં)
રહેણાંક: સુકું ઝાંખરા યુક્ત જંગલ, કાંટાવાળું જંગલ, સવાના પ્રકારનું જંગલ.
ઉપસ્થિતિના ચિન્હો: પગલાં, મારણ, ગર્જના.
ગુજરાતમાં વસ્તી:
૩૫૯ (૨૦૦૫),
૪૧૧ (૨૦૧૦),
૫૨૩ (૨૦૧૫)
૬૭૪ (૨૦૨૧ પુનમ અવલોકન)
આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.
વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલ છે.
સિંહ હુમલો ક્યારે કરે ?
સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો કરતો નથી. એ સિંહ નો સ્વભાવ પણ નથી, પરંતુ સિંહ ની આ ખાનદાની ને મનુષ્ય સિંહ ની કાયરત સમજવા માંડ્યા...
ગુજરાતના ગીર વિસ્તારમાં ભાગ્યે જ સિંહના હુમલાની ઘટના બની છે. ફોટો લેનારા એક પ્રવાસી પર 2012માં સિંહે હુમલો કરીને જીવ લીધો હતો.
સિંહને કોઈએ છંછેડ્યો હોય તો જ તે માણસ પર હુમલો કરે છે. જો કોઈ સિંહ ભૂખ્યા હોય અને ગુસ્સામાં હોય તેવા સંજોગોમાં હુમલો કરી શકે.
સારવાર માટે આપેલી દવાઓના કારણે પણ સિંહ ગુસ્સામાં હુમલો કરી શકે. સિંહે મારણ કર્યું હોય ત્યારે તેની નજીક જનારા પર સિંહ હુમલો કરે તેવી શક્યતા છે...
જૂનાગઢઃ સાસણગીરના દેવળીયા પાર્કમાં સિંહે વનકર્મીઓ પર હુમલો કર્યો હતો. 3 વનકર્મીઓ પર સિંહે હુમલો કરતા એક વનકર્મીનું મોત થયું હતું જ્યારે 2 વનકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
મહત્વનું છે કે, સામાન્ય રીતે સિંહ કોઈ માણસ પર હુમલો કરતો નથી. અસામાન્ય સંજોગોમાં જ સિંહ હુમલો કરે છે ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે...
ગીરના સાવજ ની શૌર્યગાથા:
ગીરનો એક સિંહ રોજનું દસ થી બાર કીલો માંસ આરોગે છે શિકારની જવાબદારી સિંહણ માથે...
સિંહ-સિંહણ તેના બચ્ચાની સાથે રહે છે.
સિંહના ટોળા ન હોય તે કહેવત સાચી નથી.
સિંહ પરિવાર પ્રેમી છે.
૧૨ થી ૧૫ સિંહો એકીસાથે રહેતા હોવાનું પણ જણાયું છે.
એકવાર શિકાર કર્યા પછી ૨૪ કલાક સુધી સિંહ શિકાર કરતો નથી.
જો કે બીજી વિશેષતા એ છે કે, સામાન્ય રીતે સિંહ શિકાર કરતો નથી પરંતુ સિંહણ જ મારણ કરીને પોતાના પરિવારનું પેટ ભરતી હોય છે.
શિકાર કર્યા પછી તેના પરિવાર સાથે તે મિજબાની માણે છે. ભોજન સમયે સિંહ કોઈની દખલઅંદાજી ચલાવી લેતો નથી.
તેવું જ સંવનન (મેટિંગ) સમયે પણ હોય છે. શાંતિથી તે આ બંને ક્રિયાઓ કરવામાં માને છે.
સોરઠનું ગીર અભયારણ્ય બે સદી પહેલા સિંહોની વસતીથી ઉભરાતું હતું પરંતુ રાજા- મહારાજાઓ અને ત્યારબાદ મોગલો તથા અંગ્રેજોના શાસનમાં સિંહોના શિકારનો શોખ એટલી હદે વધી ગયો કે સન ૧૮૮૦માં માત્ર ૧૧ જ સિંહ બચ્યા હતા.
સિંહોના અસ્તિત્વ સામે જ સવાલ ઊભો થતાં આખરે જૂનાગઢના નવાબી શાસને સન ૧૮૮૦માં પહેલીવાર સિંહોના શિકાર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
જૂનાગઢ સ્ટેટ દ્વારા સન ૧૮૮૦ ના રોજ પ્રસિદ્ધ કરાયા બાદ તા ૧૧-૪-૧૮૯૬ના રોજ, જૂનાગઢના દિવાન બેચરદાસ વિહારીદાસ દેસાઈએ નવો શિકાર ધારો બહાર પાડ્યો ત્યારબાદ જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજાએ તા. ૧૯-૯-૧૯૨૫ ના રોજ તમામ પ્રકારના પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો આ પછી સિંહોની વસ્તી વધવા લાગી હતી. અને હજું વધતી જાય છે...
સિંહોની દુનિયામાં ડોકિયું:
દુનિયામાં હાલ આફ્રિકા અને ગુજરાતના ગીર જંગલમાં જ સિંહો રહ્યા છે.
સિંહનું નામ સાંભળતા જ એક અનેરો રોમાંચ સૌ કોઈ અનુભવે છે. સદીઓથી સિંહ, માનવીઓ સાથે વણાયેલો છે. ભારતમાં તો વેદકાલીન યુગમાં પણ સિંહની વાતો વાંચવા મળે છે.
દુનિયામાં હાલ બે જ જગ્યાએ સિંહો વસે છે. તેમાં એક છે આફ્રિકાનું જંગલ અને બીજું આપણા દેશના ગુજરાતનું ગીર જંગલ.
આફ્રિકાનો સિંહ પેન્થેરા લીયો લિયો તરીકે ઓળખાય છે. જયારે ગીરના સિંહ પેન્થેરા લિયો પર્સિકા તરીકે ઓળખાય છે.
આફ્રીકા અને ગીરના સિંહોની તુલનામાં આફ્રિકન સિંહ મોટા માથાવાળો, ખુંખાર, હિંસક અને આક્રમક હોય છે.
જયારે ગીરનો સિંહ, દેખાવે અને સ્વભાવે સૌમ્ય, જોવો ગમે તેવો આકર્ષક, અકારણ ન ક્રોધિત થાય તેવો, પેટ ભરેલું
હોય તો મારણ ન કરે અને માનવી ઉપર ભાગ્યે જ હુમલો કરે તેવી મનોવૃત્તિ વાળો છે.
૨૦૧૦ માં તેની ગણતરી સમયે તેની સંખ્યા ૪૧૧ ની નોંધાયેલી આ વખતે તેની સંખ્યા ૬૦૦ આસપાસ હશે તેવું સિંહ- જીવનના અભ્યાસીઓનું કહેવું છે.
આફ્રિકાના સિહોની સંખ્યા પાંચ આંકડામાં છે. વળી ત્યાંના જંગલનો વિસ્તાર ખુબ જ મોટો છે. જયારે ગીરનું જંગલ ૧૪૧૨ ચોરસ કિ.મિ.માં ફેલાયેલું છે જે ૨૦ મી સદીની શરૂઆતમાં ૫૦૦૦ ચોરસ કિ.મી.માં ફેલાયેલું હતું.
ગીરના સિંહની અનેક ખાસિયતોમાં એક નોંધવા લાયક બાબત છે કે, એક જ માતા-પિતાના સંતાનો અર્થાત તેના નર અને માદા બચ્યા ક્યારેય સંભોગ અર્થાત મેટિંગ કરતા નથી.
આમ સાચા અર્થમાં તેઓ ભાઈ-બહેનનો સંબંધ નિભાવે છે.
જય ગીર, જય સિંહ...